શનિવાર, 31 ડિસેમ્બર, 2011

એજી હંસારાજા વરસોનો.....

ભજન :-

એજી હંસારાજા વરસોનો મૂકી વસવાટ,
                        ખોળિયા ને કીધા ખાલી રે...
મૂકી હાલ્યા રૂડી કાયાના રૂપ,
                        વિયોગે કરી નહિ વ્હાલી રે...........એજી હંસારાજા..


એજી હંસારાજા સુખ રે દુઃખમાં સંગાથ ,
                        ખાધું પીધું મોજું માણી રે,
રાજા રે ગયાને રોળાણાં રાજ ,
                        કાયા  રે  થઇ ધૂળધાણી રે ..........એજી હંસારાજા..


એજી હંસારાજા પળમાં ઉપાડી હાલ્યા પ્રાણ,
                        જાઇ ભાઈ રહ્યા સૌ જોતા રે,
હરિ તે તો કાળો રે વર્તાવ્યો કકરાટ,
                        રાતા  રે પાણીએ  રોતા રે ...........એજી હંસારાજા..


એજી હંસારાજા કાયાના કેવા રે કીધા હાલ,
                        વાંસ સુતર માં વિટરાણી રે,
લઇ સ્વજનો હાલ્યા રે સ્મસાન ,
                        બળતણ ભેળી એને બાળી રે .......એજી હંસારાજા..


એજી હંસારાજા ખોળિયા બળીને થાતાં ખાખ,
                        જીવડા સૌ જોતા રે ,
હારે રણમાં ઉડી રે એની રાખ ,
                       રજકણ મળે નહિ રોતા રે ..............એજી હંસારાજા..


એજી હંસારાજા અમૂલો હાલ્યો રે અવતાર,
                          મોત રે રાખી માથે રે ,
એનો " વિઠ્ઠલ" કરે છે  વલોપાત ,
                           હીરલો ખોયો  હાથે  રે ,...............એજી હંસારાજા..


નોધ : આ રચના મારા પિતાશ્રી ની છે.



મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

હરીનો માર્ગ છે શૂરાનો......

ભજન :-
રાગ :- ધોળ....


હરીનો  માર્ગ   છે  શૂરાનો , નહિ   કાયરનું  કામ  જોને;
પ્રથમ  પેહલું મસ્તક મૂકી ,  વળતી  લેવું   નામ  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
સુત વિત દારા શીશ સમરપે ,તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે  મોતી  લેવા , માંહી પડ્યા  મરજીવા  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
મરણ  આગમે તે ભરે મૂઠી,  દિલની દુગ્ધા વામે જોને;
તીરે   ઊભો  જુએ  તમાસો, તે   કોડી  નવ  પામે  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
પ્રેમપંથ પાવકની જ્વાળા ,  ભાળી પાછા ભાગે  જોને;
માંહી પડ્યાં તે મહાસુખ માણે , દેખનહારા દાઝે  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
માથા સાટે  મોંઘી વસ્તુ , સાંપડવી  નહિ  સેહેલ  જોને;
મહાપદ  પામ્યા  તે મરજીવા , મૂકી મનનો  મેલ જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...
રામ  અમલમાં  રાતા માતા ,   પુરા  પ્રેમી  જન   જોને;
પ્રીતમના સ્વામીની  લીલા, નીરખે રજનીદિન  જોને.
                                                  હરીનો માર્ગ છે શૂરાનો...


ટીપ્પણની:- આજથી બસો વર્ષ પૂર્વે ચરોતરના સંદેસર ગામને પાવન કરી ગયેલા અને સવાસો વર્ષ પૂર્વે વિદેહ્મુક્ત થયેલાં પરમ સંત શ્રી પ્રીતમદાસજી ની આ રચના છે.ખુબ પ્રાચીન ભજન છે.